નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: મહાત્મા ગાંધીની(Mahatma Gandhi) ૭૫ મી પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ, તા. ૨૯ મી જાન્યુઆરી, ૨૦૨૩ના દિવસે, નવી દિલ્હી ખાતે મહાત્મા ગાંધીને અનોખી રીતે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં મહાત્મા ગાંધી બાપુની જન્મશતાબ્દી (૧૯૬૮ – ૬૯) નિમિત્તે એક આગવાં ચિત્રકાર સરલાદેવી મઝુમદારે બાળકોને ધ્યાનમાં રાખીને ગુજરાતીમાં ‘ગાંધી ચિત્રકથા’ નામના એક સચિત્ર પુસ્તકનું સર્જન કર્યું હતું. એમાં મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનના ૨૫ જેટલા પ્રસંગોનું નિરૂપણ કર્યું હતું અને એ દ્વારા મહાત્મા ગાંધીની મોહનથી મહાત્મા સુધીની જીવનયાત્રાનું આલેખન કર્યું હતું. તે સમયે તેનો ૬ અન્ય ભાષાઓમાં અનુવાદ થયો હતો. સાતેય ભાષાઓ મળીને કુલ લગભગ એક લાખ જેટલી પ્રતો તે સમયે વેચાઈ હતી.

આજના આપણા દેશના અને વૈશ્વિક માહોલને જોતાં સરલાદેવીના પરિવારના સભ્યોએ આ પુસ્તકોને નવા કલેવરમાં ફરીથી પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો. વળી દેશના ખૂણે ખૂણામાં આ પુસ્તક ઉપલબ્ધ કરી શકાય એ હેતુથી સન ૨૦૨૧ – ૨૦૨૩ દરમ્યાન દેશની ૯ વધારે ભાષાઓમાં તેનો અનુવાદ કરાવવામાં આવ્યો. આ ઉપરાંત ૩ વિદેશી ભાષાઓમાં પણ તેનો અનુવાદ કરાવવામાં આવ્યો. આ રીતે આ પુસ્તક અત્યારે કુલ ૧૯ ભાષાઓમાં ઉપલબ્ધ થયું. મૂળ ગુજરાતી ઉપરાંત અસમિયા, બાંગ્લા,અંગ્રેજી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ અને ઊર્દૂ અને તે ઉપરાંત નેપાળી, ફ્રેંચ અને જર્મન ભાષાઓમાં આ પુસ્તકની આવૃતિઓ તૈયાર થઇ. આ પુસ્તક વ્યાપક રીતે જનતા સમક્ષ આવે તે માટે આગેવાની લેવા નવી દિલ્હી સ્થિત નેશનલ ગાંધી મ્યુઝીયમનો સંપર્ક કરવામાં આવ્યો.
તા. ૨૯ મી જાન્યુઆરી, ૨૦૨૩ના દિવસે, નવી દિલ્હી સ્થિત દિલ્હી તમિલ સંગમના હોલમાં એક સાદા સમારંભમાં મુખ્ય અતિથિ આપણા ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને આઈ.સી. સી. આર.ના ચેરમેન ડૉ. કરણ સિંહના વરદ હસ્તે આ ૧૯ પુસ્તકોનું લોકાર્પણ થયું. આ સમારંભમાં ડૉ. કરણ સિંહ અને સમારંભનાં પ્રમુખ નેશનલ ગાંધી મ્યુઝીયમનાં ચેરપર્સન અને પૂ. બાપુનાં પુત્રી શ્રીમતી તારા ગાંધી ભટ્ટાચાર્ય દ્વારા ભારતના ખૂણે ખૂણેથી આવેલા ૯ અનુવાદકોનું બહુમાન કરવામાં આવ્યું હતું. અનુવાદકો તથા અન્ય લોકોનો પ્રતિભાવ જોતાં તથા સમગ્ર માહોલ જોતાં આ પુસ્તકના ભારતની અને વિશ્વની અન્ય ભાષાઓમાં સન ૨૦૨૩ દરમ્યાન અનુવાદ કરાવવાની યોજના અમલમાં મૂકાઈ રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796