પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા અને ગુજરાતનું શાસન આનંદીબહેન પટેલને સોંપવામાં આવ્યુ હતું, બરાબર તે સમયે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ હતી. પાટીદાર આંદોલનના પરિણામ સ્વરૂપ જાહેર જીવનમાં આવેલા હાર્દિક પટેલે જાહેર સભાઓમાં વિવિધ રીતે આનંદીબહેનના નામનો ઉલ્લેખ કરી અને વ્યંગ કર્યા હતા, આમ છતાં રાજ્યના મુખ્યમંત્રીની ટીકા કરવાનો કોઈને પણ અધિકાર છે તેવુ માની આનંદીબહેન પટેલે પાટીદારોને શું કામ અનામતનો લાભ આપી શકાય નહીં તેવુ મધ્યસ્થીઓના માધ્યમથી સમજાવવાનો અનેક વખત પ્રયાસ કર્યો હતો.
આમ છતાં અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે દિવસે સભા હતી તેની આગળની રાતે આનંદીબહેન પટેલના મધ્યસ્થી અને હાલમાં કેન્દ્રીય પ્રધાન રહેલા એક નેતા હાર્દિક પટેલને અમદાવાદના ફાર્મ હાઉસમાં મળ્યા હતા, જેમાં એક એવી સમજુતી થઈ હતી હાર્દિક પટેલ ભલે સભા કરે, પરંતુ તે મુદ્દે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ નહીં તેની તકેદારી રાખવી. કારણ સરકાર અને આનંદીબહેનને ચીંતા હતી કે સભા પછી લાખો લોકોની રેલી અમદાવાદમાં નિકળે અને કલેકટર ઓફિસ પહોંચે તે દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બની શકે છે. મધ્યસ્થી રહેલા ભાજપના નેતાએ વચલો રસ્તો એવો કાઢ્યો હાર્દિકનો પણ વટ જળવાય અને અન્ય કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં તે માટે અમદાવાદ કલેક્ટર જાતે સભા સ્થળે આવે પાટીદારોની માગણીનું આવેદનપત્ર સ્વીકારે.
હાર્દિક પટેલે આ મુદ્દે સરકારને સહકાર આપવાની ખાતરી આપી હતી. બીજા દિવસે સભામાં હાર્દિક અને સરકારની અપેક્ષા કરતા વધુ, લગભગ આઠથી દસ લાખ પાટીદારો એકત્ર થયા. હાર્દિકની ઉમંર ત્યારે 22-23 વર્ષની હતી આટલી મોટી ભીડ કોઈને પણ ભાન ભુલાવે. જ્યારે હાર્દિરની ઉમંર ખુબ નાની હતી, હાર્દિકે સભામાં બેફામ ઉચ્ચારણો કર્યા. માની લઈએ કે તે તેનો અધિકાર છે, પણ જ્યારે આવેદનપત્ર આપવાની વાત આવી ત્યારે હાર્દિકે યુ ટર્ન લીધો અને સ્ટેજ ઉપરથી માગણી કરી ખુદ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અહિયા આવી આવેદનપત્ર સ્વીકારે. સવાલ કોણ મુખ્યમંત્રી છે તે મહત્વનું નથી સરકાર આખરે સરકાર હોય છે, ટોળાની તાકાતને પોતાની તાકાત માની લેવાની હાર્દિકે ભુલ કરી.
પછીની હિસાંની જે ઘટનાઓ ઘટી તેનાથી બધા વાકેફ છે. જેના પરિણામ સ્વરુપ રાજદ્રોહનો ગુનો પણ નોંધાયો. હાર્દિક ભાજપમાં આવવા માગે છે તે પૈકીનું એક કારણ રાજદ્રોહનો ગુનો પરત ખેંચાય તે પણ હોઈ શકે છે, તેવુ ઘણા માને છે કારણ બહુ વર્ષે કોઈ રાજ્ય સરકારે નોંધેલો સાચો અને સજ્જડ કરેલો રાજદ્રોહનો કેસ છે. આ દરમિયાન આનંદીબહેન પટેલે મુખ્યમંત્રી તરીકે ગુજરાતના તમામ આખબારમાં એક જાહેરખબર આપી સ્પષ્ટતા કરી હતી કે દેશનું બંધારણ મને પાટીદાર અનામત આપવાની મંજુરી આપતુ નથી. આમ આખા મુદ્દે આનંદીબહેન પટેલ આકરા અને સ્પષ્ટ હતા આ ઘટનાને સાત વર્ષ થઈ ગયા, જે દરમિયાન હાર્દીક પટેલે કોંગ્રેસમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો.
અચાનક હાર્દિકે પોતાનો સુર બદલયો અને કોંગ્રેસની નેતાગીરી સામે બાયો ચડાવી હું ભાજપમાં જતો રહીશ તેવો ઈશારો કર્યો. કોંગ્રેસની કમનસીબી એવી છે કે વોર્ડ કક્ષાથી લઈ પ્રદેશ નેતાઓ ભાજપમાં જતો રહીશ તેવી હાલતા ચાલતા ધમકી આપે છે. માની લઈએ કે હાર્દિકની ઈચ્છા ભાજપમાં જવાની છે અને ભાજપના નેતાઓ હાર્દિકને લેવા પણ તૈયાર છે, પરંતુ તેની સામે કોઈ પણ ભોગે હાર્દિક પટેલ ભાજપમાં જોઈએ જ નહીં તેવુ દ્રઢપણે માનનાર જુથ પણ ભાજપમાં સક્રિય છે. સુત્રોની જાણકારી પ્રમાણે આનંદીબહેન પટેલ જુથ ભાજપમાં હાર્દિકના પ્રવેશ સામે સખ્ત નારાજ છે, તેવી રીતે ભાજપ યુવામોર્ચો પણ માને છે અમે આખી જીંદગી ઝંડાઓ પકડી દોડ્યા અને હવે બહારથી આવેલો હાર્દિક અમારો સાહેબ થઈ જાય તે અમને મંજુર નથી. જો કે ભાજપમાં નારાજગી વ્યકત કરવાનો બહુ ઓછા નેતાઓને અધિકાર છે તે પૈકી આનંદીબહેન એક છે. હવે હાર્દિક પટેલને ભાજપમાં આવવુ જ છે તો નરેન્દ્ર મોદીની લાઈન કરવી પડે કારણ ત્યાંથી જે આદેશ થાય તેની સામે કોઈ બોલી શકતુ નથી.
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.