ભારતમાં ગત સપ્તાહે સોનું ૨.૧૮ ટકા વધી રૂ. ૬૭,૨૫૨: માર્ચમાં ૮.૯૦ ટકાની વૃધ્ધિ
લાંબાગાળા માટે સોનાના ભાવની આગાહી ૨૫૦૦થી ૨૬૦૦ ડોલરની થવા લાગી
રિઝર્વ બેન્કે ૧ એપ્રિલથી ૧૧ બેન્કોને સોના/ચાંદીની આયાત કરવાની પરવાનગી આપી
ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સોનાના (Gold) નિષ્ઠાવંત રોકાણકારોને ૨૦૨૩માં ૧૩.૪૮ ટકાનો નફો છૂટયો હતો. ભારતમાં ગત સપ્તાહે ૨૪ કેરેટ હાજર ભાવ ૨.૧૮ ટકા વધી ૧૦ ગ્રામ દીઠ રૂ. ૬૭,૨૫૨ની ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યા હતા. એકલા માર્ચ મહિનામાં ૮.૯૦ ટકાની ભાવ વૃધ્ધિ જોવાઈ હતી. બિટકોઇન (Bitcoin) અને અન્ય પરંપરાગત મૂડીરોકાણ સામે સોનાએ સતત સ્પર્ધામાં અગ્રેસરતા સ્થાપિત કરી હતી. સુવર્ણ પ્રેમ અને વિશ્વાસે રોકાણકારોને પૂરતા વળતરના હિસ્સેદાર બનાવાયા છે. સોમવારે એશિયન બજારસત્રમાં જાગતિક હાજર ભાવ ૧.૨૭ ટકા વધીને ૨૨૬૧.૫ ડોલર ટ્રેડ થયો હતો.
૨૮ માર્ચે (ગત સપ્તાહે) વૈશ્વિક બજારમાં જૂન વાયદો અગાઉના તમામ વિક્રમો તોડીને પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૨૨૫૪.૮૦ ડોલરની ઊંચાઈએ મુકાયો હતો. જાગતિક હાજર ભાવ પણ ૨૨૩૩.૧૦ ડોલરની વિક્રમ ઊંચાઈએ મુકાયા હતા. અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજ નીતિની આંધી સમી જતાં, બુલિયન બજાર તેજીની નવી રાહ કંડારવા અગ્રેસર બનશે. ત્યાર પછી વૈશ્વિક અર્થતંત્રોના માળખાગત ડેટા, બજારનો દિશાદોર નિર્ધારીત કરશે. છેલ્લા બે દાયકામાં ગોલ્ડ ઇટીએફમાં જબ્બર રોકાણ પ્રવાહ વધવાને લીધે, આ ત્રીજી મહાતેજી છે જોવાઈ છે. પ્રથમ ૨૦૦૪થી ૨૦૧૧ અને બીજી ૨૦૨૧૫થી ૨૦૨૦ના ગાળામાં જોવાઈ હતી.
અલબત્ત, એવું માનવામાં આવે છે કે નાના નાના રોકાણકારો આ તેજી ચૂકી ગયા છે. આવા પ્રોક્સી રોકાણકારોનું ગોલ્ડ ઇટીએફ રોકાણ ૨૫ ટકા ઘટ્યું છે. ફેડરલ રિઝર્વે આ વર્ષે વ્યાજ કપાત શરૂ કરવામાં આવશે, એવા સંકેત આપ્યા પછી, બુલિયન બજારમાં તેજીના ઘોડાપૂર આવ્યા હતા. વ્યાજ કપાતને લીધે વૈશ્વિક ચલણો સામે અમેરિકન ડોલર નબળો પડશે અને અમેરિકન બેંચમાર્ક બોન્ડનું યીલ્ડ ઘટશે. એ સંયોગમાં સોનાની તેજીનો સૂર્યોદય થયો હતો. અમેરિકન વ્યાજ વૃધ્ધિને લીધે છેલ્લા બે વર્ષથી સોનાના ભાવ દબાણમાં આવ્યા હતા. મધ્ય માર્ચમાં બેન્ક ઓફ અમેરિકાએ કહ્યું હતું કે સોનું હવે તો શેરબજાર સામે પણ હેજિંગ (સલામતી) આપવા લાગ્યું છે.
આ વર્ષના બીજા છમાસિકમાં જો આર્થિક વિકાસ નબળો પડે તો, તેવી સ્થિતિમાં ફુગાવો વધશે અને સોનું સલામત મૂડી રોકાણનું સ્વર્ગ સાબિત થશે. સેન્ટ્રલ બેન્કો પણ હવે તો સોનું ખરીદવા કૂદી પડી છે. છેલ્લા બે વર્ષમાં આવી ખરીદી ૨૧૦૦ ટન થઈ છે, જેણે રોકાણ માંગમાં નવી હવા ભરી છે. જો રોકાણકારો આ ભાવે પણ બજારમાં આવશે તો, લાંબાગાળા માટે ભાવની આગાહી ૨૫૦૦થી ૨૬૦૦ ડોલરની થવા લાગી છે.
“સોનું એક વ્યૂહાત્મક અસ્ક્યામત છે,” સંદર્ભના એક અહેવાલમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કહ્યું કે સોનું એક પ્રવાહી અસ્ક્યામત છે, તેના ધારક સામે કોઈ જવાબદારી નથી હોતી, તેમાં કોઈ ક્રેડિટ જોખમ નથી, તે લાંબા સમય સુધી મૂલ્ય સંગ્રહ કરી શકે છે. તે એક અનામત અસ્ક્યામત છે, તે માંગ અને પુરવઠાના સિદ્ધાંતમાંથી ભાવ નિર્ધારણ કરે છે, સોનું હવે માત્ર જ્વેલરી નથી રહી તે હવે ટેકનોલોજીમાં પણ વપરાવા લાગ્યું છે. છેલ્લા ૩, ૫, ૧૦ અને ૨૦ વર્ષમાં અન્ય અસકયામતો કરતાં વધુ વળતર આપનાર સાબિત થયું છે.
જે વર્ષમાં ફુગાવા વૃધ્ધિ દર, બે ટકાથી પાંચ ટકા જેટલો રહે ત્યારે સોનાના ભાવ વાર્ષિક સરેરાશ ૮ ટકાના દરે વધતાં હોય છે. જો આપણે ૧૯૭૧થી જોઈએ તો લકઝરી દાગીના અને ઇન્વેસ્ટમેન્ટ તરીકે આકલન કરી તો વાર્ષિક સરેરાશ ૮ ટકાના દરે વળતર આપ્યું છે. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦૨૪-૨૫ માટે રિઝર્વ બેન્કે ૧ એપ્રિલ ૨૦૨૪થી અમલમાં આવે તે રીતે આઇસીઆઇસીઆઇ અને એચડીએફસી સહિતની ૧૧ બેન્કોને સોના અને ચાંદીની આયાત કરવાની પરવાનગી આપી છે. ગત નાણાકીય વર્ષમાં એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન ભારતમાં સોનાની આયાત ૩૮.૭૬ ટકા વધીને ૪૪ અબજ ડોલરની અને ચાંદીની ૧૧.૫૩ ટકા વધીને ૪.૬૨ અબજ ડોલરની થઈ હતી.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796